ટી-20 ચેમ્પિયન ભારતીય ટીમનું મુંબઈમાં વિક્ટરી પરેડ સાથે ભવ્ય સ્વાગત
ટી-20 ચેમ્પિયન ભારતીય ટીમનું મુંબઈમાં વિક્ટરી પરેડ સાથે ભવ્ય સ્વાગત
Blog Article
વેસ્ટ ઇન્ડિઝમાં ટી-20 વર્લ્ડકપમાં શાનદાર વિજય પછી ગુરુવારે ભારતમાં પરત આવેલી ક્રિકેટ ટીમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મુંબઇમાં નરીમાન પોઇન્ટ્સથી વાનખેડે સ્ટેડિયમ સુધી ખુલ્લી બસમાં ખેલાડીઓને બેસાડીને એક કિલોમીટર લાંબી વિક્ટરી પરેડ કાઢવામાં આવી હતી. ખેલાડીઓને જોવા માટે અને તેમનું સ્વાગત કરવા માટે લાખ્ખોની સંખ્યામાં ક્રિકેટચાહકો ઉમટી પડ્યા હતી. મુંબઈના પ્રખ્યાત નરિમન પોઇન્ટ્સ પર માનવ મહેરામણ ઉમટ્યો હતો.
ભારતીય ટીમના ખેલાડીઓ મુંબઈના નરીમાન પોઈન્ટ ખાતે તિરંગા અને ટ્રોફી સાથે ઓપન રૂફ બસમાં પર સવાર થયા થયા હતા અને વાનખેડે સ્ટેડિયમ પહોંચ્યા હતા. સ્ટેડિયમમાં સન્માન સમારોહમાં યોજવામાં આવ્યો હતો અને ટીમને રૂ. 125 કરોડનું ઈનામ અપાયું હતું.
આ અગાઉ ક્રિકેટ ટીમ ગુરુવારે વહેલી સવારે સ્પેશ્યલ ફ્લાઇટમાં નવી દિલ્હી આવી ત્યારે પણ ટીમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. લગભગ સવારે 7:00 વાગ્યે, રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ એરપોર્ટથી બહાર નીકળી હતી અને ટીમના ખેલાડીઓ બસમાં બેઠા હતા. સુકાની રોહિત T20 વર્લ્ડ કપની ટ્રોફી હાથમાં લઈને બહાર નીકળ્યો હતો અને એરપોર્ટ પરના ચાહકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. એરપોર્ટ પર સેંકડો ક્રિકેટ ચાહકો એકઠા થયા હતા અને ભારતીય ટીમનું સ્વાગત કર્યું હતું.
ભારતીય ટીમ સીધી જ દિલ્હીના ચાણક્યપુરીમાં આવેલી ITC મૌર્ય હોટેલમાં ગઈ હતી અને ત્યાં ભારતીય ટીમની જર્સીના રંગો પર એક કેક કાપીને ઉજવણી કરી હતી. ક્રિકેટ ટીમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળી હતી. મોદી સાથેની મુલાકાત પછી ટીમ મુંબઈ આવી હતી.
બેરિલ વાવાઝોડાને કારણે રોહિત શર્મા, વિરાટ કોહલી અને ટીમના અન્ય સભ્યો સોમવારથી બાર્બાડોસમાં અટવાઈ ગયા હતા. જોકે ટીમ ઈન્ડિયા માટે સ્પેશિયલ ફ્લાઈટની વ્યવસ્થા કરવામાં આવ્યા બાદ તેઓ ગુરુવારે વહેલી સવારે ભારત આવ્યા હતા.